રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થયો હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા હવે રાજકીય મેળાવડા, લગ્ન પ્રસંગ અને ધાર્મિક પ્રસંગોમાં ૪૦૦ લોકોને એકઠા થવાની છૂટ આપવામાં આવી છે. તો બીજી તરફ આગામી દિવસોમાં આવતા નવરાત્રિના તહેવારને લઈને પણ રાજ્ય સરકારે શેરી ગરબાની મંજૂરી આપી છે. તો લોકો કોરોનાની મહામારી વચ્ચે સુરક્ષિત રહે એટલા માટે સમય આવે એટલે વેક્સીન લેવાનું કહેવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ હવે સુરતમાં પણ ધીરે-ધીરે કોરોના એ માથું ઊંચક્યું છે. સુરતના અઠવા અને રાંદેર ઝોનમાં કોરોના પોઝિટિવ કેસો ખૂબ જ વધી રહ્યા છે. એક સાથે ૬, ૧૨ અને ૧૪ જેટલા પોઝિટિવ કેસો એક જ બિલ્ડીંગ અને સોસાયટીમાંથી સામે આવી રહ્યા છે.
તેથી ફરીથી સુરત મહાનગરપાલિકાની ચિંતામાં વધારો થયો છે. ત્યારે સુરતની હોસ્પિટલમાં સારવાર લઈ રહલો કોરોનાનો દર્દી હોસ્પિટલમાંથી ભાગી ગયો હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાને લઇને તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે. પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ આ યુવકની શોધખોળ કરી રહ્યા છે.
કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલમાંથી ભાગી ગયો હોવાની જાણ થતા તેમણે આ માહિતી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને પોલીસને આપી હતી. તેથી તેમના દ્વારા પણ આ યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે. મહત્ત્વની વાત છે કે, સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા હોસ્પિટલમાંથી કોરોના દર્દી ભાગી ગયો તે ઘોર બેદરકારી તંત્રની કહી શકાય. આ પોઝિટિવ દર્દી અન્ય લોકોના સંપર્કમાં આવશે તો તે વધુ લોકોને કોરોના સંક્રમિત કરી શકે છે. તો બીજી તરફ હવે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે અને નાના બાળકો કોરોના સંક્રમિત હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. સુરતના અઠવા અને રાંદેર ઝોનમાં જે કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે તેમાંથી બાળકો 3થી 5 બાળકો સંક્રમિત હોવાનું પણ આવ્યું છે.