રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. નવા કેસ પણ ઓછા આવી રહ્યા છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેરની આશંકાને લઈને રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશનને ખૂબ જ ઝડપી બનાવવામાં આવ્યું છ. અમદાવાદ મહાનગરપાલિકાએ વેક્સિનેશનને લઈ એક નવો રસ્તો અપનાવ્યો હતો. જેમાં લોકો વેક્સિન લે એટલા માટે તેમને પ્રોત્સાહન રૂપે રસીની સાથે એક લીટર તેલ આપવાની જાહેરાત કરી હતી. મહાનગરપાલિકાની આ જાહેરાત બાદ લોકો લાઈનો લગાવીને ઊભા રહી ગયા હતા પરંતુ કેટલીક જગ્યા પર એવા કિસ્સાઓ સામે આવ્યા હતા કે લોકોએ તેલના પાઉચ દારૂના અડ્ડા પર જમા કરાવીને તેનો દારૂ લઇ લીધો હતો અના માહિતી અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
માહિતી અનુસાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લોકો વેક્સિન લે એટલા માટે રસી લેનારને એક લીટર તેલ આપવાની જાહેરાત ૯ ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી. સોમવારે આ જાહેરાતના 10 દિવસ પુરા થયા હતા અને ૧૦ દિવસના સમયમાં ૬૧ હજાર લિટર કરતા વધુ તેલ વિતરણ થયું હતું. રસી લેનાર ૨૪ હજાર લોકો એવા હતા કે આ લોકોએ માત્ર તેલ લેવા માટે વેક્સિન લીધી હતી. તો બીજી તરફ ૩૭ હજાર લોકોએ રસીનો બીજો ડોઝ હતો અને તેમને તેલ આપવામાં આવ્યું હતું.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક NGOની મદદથી રસી લેનારા ૬૧ હજાર કરતાં વધુ લોકોને એક લીટર ખાદ્યતેલ આપવામાં આવ્યું હતું. ખાદ્ય તેલ આપવાની જાહેરાતને લઈને વેકસીનેશનને ખૂબ જ સારું પ્રોત્સાહન મળ્યું હતું. તો આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, વેક્સિન લેનાર વ્યક્તિઓને તેલ આપવામાં આવ્યું હતું પરંતુ આ તેલના પાઉચ કેટલાક લોકો દારૂના અડ્ડા ઉપર વટાવીને તેનો દારૂ લઇ આવ્યા હતા. આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.