સરકારે જણાવ્યું કે, નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ને સુદર્શન ભારત પરિક્રમા અંતર્ગત ભારતની વિશાળ કાર રેલીનું આયોજન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જે અંતર્ગત બીજી ઓક્ટોબરના રોજ દિલ્હીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રેલીને પ્રસ્થાન કરાવી હતી. જુદા જુદા રાજ્યોમાં ફરીને બ્લેક કેટ કાર રેલી બુધવારના રોજ અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. મેઘાણીનગરમાં આવેલા NSGના હબ ખાતે કાર રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીનો ઉદ્દેશ- ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવી,
અખંડ ભાઈચારા અને દેશભક્તિના સંદેશ સાથે આઝાદીની લડતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે વાર્તાલાપ કરવો અને દેશવાસીઓમાં દેશભક્તિ અને ભાઈચારાની ભાવનાને ફરી જાગૃત કરવાનો છે.
અમદાવાદ આવી પહોંચેલી રેલીનું નિવૃત્ત NSG ના ડાયરેક્ટર જનરલ એ. કે. સીંગે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નેશનલ સિક્યુરિટી ગાર્ડ દેશની શાન છે. મને ગર્વ છે કે NSGને નેતૃત્વ કરવાની તક મળી હતી. કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે NSGના કમાન્ડો તૈયાર હોય છે અને તે દેશનું સર્વશ્રેષ્ઠ આંતકવાદ વિરોધી દળ છે
ગુજરાત NSG ના ગ્રુપ કમાન્ડર જયરામ સિંઘે જણાવ્યું હતું કે NSG બ્લેકકેટ કાર રેલી આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આઝાદીની ચળવળના ઐતિહાસિક સાક્ષી રહેલા સ્થળોની મુલાકાત લઈને અમૃત મહોત્સવને ઊજવી રહી છે. NSG કમાન્ડો કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર હોય છે.