ચોમાસાની સિઝન શરૂ થઇ છે ત્યારે પાટણનું એવાલ અને અમરેલીનું ઇશ્વરીયા ગામ યાદ આવે, કારણ કે આ બન્ને ગામ એવાં છે કે જ્યાં વરસાદનું પાણી સંગ્રહ કરવાની અલાયદી વ્યવસ્થા છે. ખુદ ગ્રામજનો વરસાદી પાણી બચાવીને રાખે છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં જો વરસાદી પાણી બચાવવાની ઝૂંબેશ થતી હોય તો રાજ્યના શહેરી વિસ્તારના લોકોએ પણ ભવિષ્યને સામે રાખીને વહી જતાં પાણીને બચાવવાની યુક્તિ અજમાવવી જોઇએ.
વૈજ્ઞાનિકોનો અભ્યાસ છે કે ગુજરાતમાં પાણીની મહત્તમ જરૂરિયાત 35000 મિલિયન ઘનમીટરની છે પરંતુ કુદરત ચોમાસા દરમ્યાન વર્ષે સરેરાશ 1,30,000 મિલિયન ઘનમીટર પાણી આપે છે પરંતુ મોટાભાગનું પાણી દરિયામાં વહી જાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે વરસાદનું 31 ટકા પાણી જમીનમાં ઉતારવું જોઇએ પરંતુ કુદરતી રીતે માત્ર 13 ટકા પાણી જમીનમાં ઉતરી રહ્યું છે.
ભારત અને પાકિસ્તાનની સરહદે આવેલું પાટણ જિલ્લાનું એવાલ ગામ પાણીની અછત અનુભવતા ગામડાઓને પ્રેરણા પુરી પાડે છે. 700ની જનસંખ્યા ધરાવતા આ ગામમાં માત્ર 150 મકાનો છે. ગામડાના પ્રત્યેક ઘરની બાજુમાં પાણીના મોટા ટાંકા બનાવવામાં આવ્યા છે જેમાં પાઇપલાઇન મારફતે વરસાદનું પાણી ભરવામાં આવે છે જે આખું વર્ષ ચાલે છે. આ નાનકડા ગામમાં 80 જેટલી હવાચુસ્ત ટાંકીઓ છે. એવી જ રીતે અમરેલી જિલ્લાના ઇશ્વરીયા ગામની સ્થિતિ અલગ છે. આ ગામની વસતી 2000 લોકોની છે અને પ્રત્યેક ઘરમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા ફરજીયાત બનાવવામાં આવી છે.
ગુજરાતમાં વનસંપત્તિ ધરાવતા ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ છતાં ભૌગોલિક સ્થિતિના કારણે પાણી ટકતું નથી તેથી રાજ્યના પાણી પુરવઠા વિભાગે આદિવાસીઓના ઘરની છત પર જે વરસાદી પાણી પડતું હતું તેનો સંગ્રહ કરવા ઘરઆંગણે જ 10 હજાર થી 20 હજાર લીટરના ભૂગર્ભ ટાંકા બનાવ્યા છે. કમનસીબી એવી છે કે ગ્રામ્ય વિસ્તારમાં જળસંચયના કામો ચાલે છે પરંતુ શહેરો આ કામગીરીથી બાકાત છે.
શહેરી વિકાસ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે સરકારનો નિયમ હોવા છતાં બિલ્ડર કે ડેવલપર્સ તેમની સ્કીમમાં બોરવેલની સાથે રીચાર્જ વેલ બનાવતા નથી. જો રાજ્યના શહેરી વિસ્તારમાં બોરવેલની સાથે રીચાર્જ વેલ બનાવવામાં નહીં આવે તો એક સમય એવો આવશે કે શહેરોમાં બનાવવામાં આવેલા હજારો એપાર્ટમેન્ટમાં બોરવેલના પાણી અદ્રશ્ય થઇ જશે અને સરકારને તેનો વિકલ્પ આપવો પડશે.